હમણાં થોડા દિવસો પહેલાંજ દશેરાનું પર્વ પૂરું થયું. ઘણી જગ્યાએ રાવણદહન અને રામલીલાના પ્રસંગોનું પરંપરાગત આયોજન કરવામાં આવેલ. દરેક ટી.વી ચેનલ પર મોટાભાગની ધારાવાહિકમાં પણ તેના પ્રસંગો દર્શાવવામાં આવ્યા. અલપઝલપ ધારાવાહિક જોવાની મજા કોઇ વખત માણી લઉં છું. આ વખતે ‘તારક મહેતાના ઉલટાં ચશ્મા’ ધારાવાહિકમાં આ પ્રસંગને થોડો અલગ રીતે રજૂ કરવામાં આવ્યો. ધારાવાહિકના મુખ્ય પાત્ર ’જેઠાલાલ’ રામનું પાત્ર રાવણદહન માટે ભજવવાનાં હતાં. અને આગલી રાત્રે તેમને સ્વપ્ન આવે છે તેમાં રાવણ તેમને પૂછે છે મારું જ દહન કેમ? તમે લોકો દર વર્ષે કંસ, જરાસંઘ, દુર્યોધન એ લોકોના દહન કેમ નથી કરતાં? એમ સંવાદ આગળ ચાલે છે. આમ જુઓ તો રાવણ તો એક મહાન જ્ઞાની હતો. એટલે રાવણદહન નહીં પરંતુ જરૂર છે અહંકારનું દહન કરવાની. જો કે પૌરાણિક ગ્રંથના એ પ્રસંગ દ્વારા સમજાવવામાં આવે છે કે વ્યક્તિને તેનો અહંકાર મારે છે. પરંતુ આપણે તે પ્રસંગને માત્ર પરંપરાગત ઉજવીને આનંદ માણીએ છીએ.
આના સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવ્યો(બહુ જ મોટા બ્રેક પછી મનોમંથન). જાણે અજાણ્યે કે કોઇ ગેરસમજના કારણે ક્યારેક એવું વર્તન થઇ જાય પણ એ સમજાઇ જવું જરૂરી છે કે કે ક્યાંક આપણાંમાં પણ અહંકાર તો નથી પ્રવેશી ગયો ને? એક મિત્ર નવા જ સોફ્ટવેરના જાણકાર બનેલા. એમણે અમને એક અમારી સારી ઓળખ હતી તેવી કંપનીમાં તેમના કાર્ય અંગે ભલામણ કરવા કહ્યું. મિત્ર સાથેના અને જેની કંપની હતી તે મિત્ર બંને તરફ સારા સંબંધો હોવાને કારણે અમને થયું કે ચાલો આપણી થોડીક વાત કરવાથી બંનેનું કામ થતું હોય તો સારી વાત છે. અમે તેમ કર્યું. પણ પેલા નવા નવા સોફ્ટવેરના જાણકારતો સામેથી કોઇ જવાબ આવે તેની રાહ જોયા વિના કંપનીમાં થોડા થોડા દિવસે મેઇલ કરવા લાગ્યા. અમારી જાણ બહાર. પેલા કંપની હતી તે મિત્ર કોઇ કાર્યમાં વ્યસ્ત હશે. તેમણે જવાબ આપ્યો મેઇલ દ્વારા વિનાકારણે મેઇલ ના કરશો. મેઇલ-સ્પામનો ઉપયોગ કરવાને બદલે તેમણે માત્ર જાણ કરી. ફરી પેલા સોફ્ટવેર-મિત્રે અજાણતાં મેઇલ કરી હશે તો પેલા બીજા મિત્રે નમ્ર સૂચન કર્યું તો પેલા પ્રથમ મિત્ર તો અમને કહેવા લાગ્યા કે હવે તો એમની સાથે આગળ કોઇ કામ નથી કરવું એમનું મારા લિસ્ટમાંથી નામ જ બાકાત. એમને તો વાત કરવાની સમજ નથી. સફળતા મળી ગઇ છે તેનું અભિમાન છે આવું બધું કંઇક. હવે એમણે એમની મહેનત દ્વારા જ સફળતા મેળવી હશે ને? બાપ-દાદાના જામેલા તૈયાર મળેલ ધંધાને સંભાળવા માટે આગળ વધારવા માટે પણ આવડતની જરૂર રહે છે. નહીં તો ધંધો ચોપટ થતાં વાર ના લાગે. જ્યારે પોતાની આવડતથી આગળ આવનાર વગર મહેનતે તો સફળતા ના મેળવે ને? સફળતા મેળવવા માટે આવડતની સાથે વિનય, નમ્રતા જેવાં ગુણોની જરૂર પણ પડે છે. એટલે જ રામ પૂજાય છે અને રાવણનું દહન થાય છે. સત્યનો અસત્ય પર વિજય, સારપનો બુરાઇ પર વિજય. એ રાવણદહનનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે આપણા અંદર રહેલા દુર્ગુણોનું દહન.
હવે પેલા બીજા મિત્રને આ વાતની જાણ હતી નહીં. બની શકે તે એમના કાર્યની વ્યસ્તતામાંથી ફુરસદ મળતાં પ્રથમ મિત્રના કાર્યનો અભ્યાસ કરવા લાગ્યા હોય. સારું લાગ્યું હશે તેથી એમણે સામેથી મેઇલ કરી. આ બાજુ પેલા પ્રથમ મિત્ર થોડા વધુ અનુભવી થવાથી અને તેમના કાર્યના થોડા મિત્રો દ્વારા વાહ! વાહ! થવાથી પોતાના કાર્યને મહાન અને બીજા મિત્રનું કાર્ય તેમને ખાસ આવડતવાળું ના લાગવા માંડ્યું.એમના આજુબાજુના મિત્રોએ એમના કાર્ય અંગે કરેલી વાહવાહથી પોતાને બિલ ગેટસ સમજવા લાગેલ કે શું ખબર નહીં?
ક્યારેક આપણે તો કોઇની મદદની કે આપણા બે બોલથી કોઇનું સારું થાય તે ભાવના રાખી હોય તેની જગ્યાએ વાત કંઇક ઉલટી જ બને ત્યારે આપણે તો શું કરવું તે જ ના સમજાય. આ બધું જ વિજયાદસમીના દિવસો દરમ્યાન બન્યું તો મને સવાલ થયો કે શું ખરેખર આપણે અહં કે અહંકારનું દહન કરી શકીએ છીએ ખરા? આ તો બે મિત્રોની વાત હતી. પણ શું આપણે આવી ગેરસમજ કે અહંકારથી બચી શકીએ છીએ ખરા? શું આપણે આપણા દુર્ગુણોનું દહન કરી શકીએ છીએ? એ ફરી આપણા જીવનમાં પ્રવેશે નહીં તેવું દહન? દર વર્ષે ફરી ફરી રાવણદહનની જેમ કરવું પડે તેવું નહીં.
તો પછી પેલા જેઠાલાલના સ્વપ્નમાં આવેલા રાવણની વાત સાચી છે કે મારું જ દહન કેમ? અને મારું દહન તો રામ જ કરી શકે. તો શું તમે રામ છો? તો આપણે પણ બીજાના અહંકાર વિશે વાત કરતાં પહેલાં આપણે અહંકાર વિહિન છીએ તે જાણી લેવું જોઇએ. ગર્વ અને ગૌરવ હોવાં જોઇએ. પણ તે અહંકાર ના બને તો જ…….સાચું રાવણદહન.

મિતાબેન; આપણે બધા એ જાણીએ છીએ કે રાવણના પૂતળાને દર વર્ષે દહન કરવામાં આવે છે.તો મનમાં આ પ્રશ્ન અચૂક થાય કે ખરેખર જો રાવણદહન થઈ ગયો હોય તો તેને વારંવાર શામાટે દહન કરીએ છીએ? અને તેને એકએક ફૂટ દરવર્ષે વધારતા જ જઈને તેનું પૂતળું બનાવાય છે..એનો અર્થ એ થાય કે તે હજી બળ્યો નથી ઊલ્ટાનો વધતો જ જાય છે. સ્થૂલ રીતે આ હકીકત એક જ વખતમાં દહન કરવાથી દહન થઈ જ જાય..પણ આ જરૂર કોઈ સૂક્ષ્મ બાબતનો નિર્દેશ કરે છે..રાવણને દશાનન કહેવાય છે..હકીકતમાં કોઈ દશ મોં વાળી વ્યક્તિ હોઈ શકે ખરી? નહીં જ ને? તો ચોક્કસજ એ ગૂઢાર્થ જ સૂચવે છે કે રાવણમાં એક નહીં પાંચવિકારો હતા અને માયાવી હોવાથી દશ શિશ દર્શાવવામાં આવે છે આજે દરેકમાં તે વત્તેઓછે અંશે વ્યાપ્ત છે જે રાવણનું પ્રતિક છે..કામ,ક્રોધ,લોભ,મોહ,અહંકાર,સૂક્ષ્મરૂપે નફરત,વેરઝેર, ઈર્ષ્યા.વિગેરે..એનું દહન કરાય તો જ અંદર અને બહારમાં રામરાજ્ય અર્થાત સુખશાંતિ મળે. એવું માનવું છે. મનુષ્યમાત્ર આ આસુરીવૃતિઓનું પોતાની જાતે જ દહન કરે ત્યારે તેણે સાચા અર્થમાં દશેરા ઉજવી કહેવાય..નહીં કે ફાફડા જલેબી ખાવાથી..ઓમશાંતિ.
ઉષાબહેન,
ઉત્તમ વિચારો બદલ આપનો આભાર. અને મારા બ્લોગમાં આપનું સ્વાગત. આપનો પ્રતિભાવ રાવણદહનના સાચા અર્થને દર્શાવે છે.
અહંકાર આપણી ઓળખ છે. એ્નો સંપૂર્ણપણે નાશ ન થાય. માત્ર એનો વિસ્તાર થઈ શકે. વ્યક્તિગત અહં ન ચાલે. સ્તનપાયી પ્રાણીઓમાં મનુષ્ય શક્તિમાં સૌથી પાછળ છે એટલે અહંનો વિસ્તાર કરે તો જ ટકી શકે. અહંના નાશની વાતો ભ્રામક છે.
દિપકભાઇ,
આપનો પ્રતિભાવ ખૂબ સરસ. અહંના નાશની વાતો ભ્રામક છે એક વાક્ય લેખને પૂર્ણસ્વરૂપ આપ્યું આપે. આપનો આભાર.
શ્રી મિતાબહેન, ક્યાં ખોવાઈ ગયા હતા ? (Sorry ! આ શિષ્ટ સવાલ તો નથી જ ! પરંતુ અમારે મિત્રમંડળમાં કોઈ બે-પાંચ દહાડા પણ ન મળે તો પ્રથમ સવાલ આ જ પૂછાય ! જેનો પ્રત્યુત્તર મેળવવો જરૂરી નહીં માત્ર અમને મિત્રની ખોટ કેટલી બધી સાલતી હતી તે દર્શાવવા અર્થે જ !)
જો કે આટલા બધા વખતનું સાગમટે સાટું વળી ગયું. અહંકાર ન હોવાનોએ અહંકાર શક્ય છે ! છતાં, અકારણ અહંકાર હાંસી કે નાશનું કારણ બને. અમારે તો વ્યવસાય અર્થે કુશળ કારીગરો સાથે સદાનો પનારો, અને એ ખાસ જોયું છે કે કારીગર જેટલો વધુ કુશળ તેટલો વધુ અહંકારગ્રસ્ત ! છતાં તેના કુશળતાના ગુણને કારણે અહંકારનો અવગુણ સહ્ય લાગે. પરંતુ આપના દ્વારા અપાયેલા ઊદાહરણ પ્રમાણે સુંઠને ગાંઠીયે ગાંધી બનેલાઓનો અયોગ્ય અહંકાર અસહ્ય તો ખરો, લગભગ તો હાંસીપાત્ર પણ બને.
અમારે કોઈ પ્રસંગે પાંચ-પચાસ લોકો મળે ત્યારે રામરામી (પેલું ’શેક હેન્ડ’ કહે છે તે !) કરવાનો ઢારો, હવે આ જામેલા ડાયરામાં જે નવો પ્રવેશ કરે તેણે પ્રથમથી બેઠેલા બધાની સાથે હાથ મીલાવવાનાં રહે (જેને રામ રામ કર્યા કહેવાય), આમ ન કરે અને છાનોમાનો બેસી જાય કે જરા દૂર રહે તેને અહંકારી હોવાની છાપ લાગી જાય. જે ક્યારેક સાચી તો ક્યારેક ખોટી રીતે શક્ય છે કારણ કોઈ અંતર્મુખ (ઈન્ટ્રોવર્ટ) પ્રકૃતિનો માણસ હોય તો ખોટી રીતે અહંકારી ગણાય જાય તેવું પણ બને. આ તો એક અન્ય પક્ષ રજુ કર્યો. બાકી એ વાત તો સાવ સાચી કે ગૌરવ અને અહંકાર વચ્ચેની પાતળી ભેદરેખા ન વળોટાય તેનું સજ્જનોએ ધ્યાન રાખવું જોઈએ.
શ્રી.દીપકભાઈએ જણાવ્યું તે પર વિચારીએ તો, વ્યક્તિગત અહંનું ક્ષેત્ર વિસ્તારતા જઈએ એટલે છાસમાં જેમ પાણી પડતું જાય તેમ અહં રહ્યો છતાં ઓગળતો જાય એવું બને ખરું. આભાર.
અશોકભાઇ,
આભાર.
આપ દિલગીરી વ્યક્ત કરીને મને શરમમાં નાખો છો. મને તો આ શિષ્ટ ના ગણાતો સવાલ ખાસ મિત્રમંડળમાંથી ના પૂછાય તો ના ગમે.(લાગવું તો જોઇએને કોઇને આપણી ખોટ સાલે છે).
આપની વાત ‘કોઈ અંતર્મુખ (ઈન્ટ્રોવર્ટ) પ્રકૃતિનો માણસ હોય તો ખોટી રીતે અહંકારી ગણાય જાય તેવું પણ બને’ મારી સાથે તો હંમેશા બને છે. ખાસ મિત્રમંડળ-ડાયરા સિવાય બીજા માટે સ્વભાવ અંતર્મુખ છે. બાળપણની આ પ્રકૃતિ સગાંઓએ સ્વીકારી અને તેના જ કારણે જિંદગીનો મહત્વનો નિર્ણય લેવાયો પણ આજે એ જ સગાંઓને એ જ સ્વભાવમાં અહંકારીપણું લાગે છે.(સૌને સૌના વિચારો હોય આપણે શું કરી શકીએ)
ખૂબ ઉત્તમ વિચારો. છાસનું ઉદાહરણ સરસ.
માનવમનની સોશિયલ ડોમીનંસ હાઈઆર્કી એટલી બધી કોમ્પ્લીકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં.
છતાં એક તોફાની બાળકને કંટ્રોલમાં રાખવા માટે કડક શિક્ષકની જરૂર હોય છે તેમ માની આપની વાતો સર માથા ઉપર.આભાર.
ભૂપેન્દ્રસિંહ,
આભાર
દરેક વ્યક્તિને તેમના ક્ષેત્રમાં પ્રથમ આવવું હોયે છે. દિપકભાઇએ સરસ ઉલ્લેખ કર્યો છે મનુષ્ય અહંનો વિસ્તાર કરે તો જ ટકી શકે. પણ તમારે માતે એક નવો સંશોધન્નો વિષય છે હેપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપે તો અહંકારથી કેમિકલ સ્ત્રાવ ઉંચે જાય છે કે નીચે અને તેની અસરો વિશે.
શ્રીમતી મીતાબહેન,
ઘણા સમયે પધરામણી કરી અને સાથે લેખ દ્વારા દિવાળીની અમુલ્ય ભેટ પણ આપી.
માનવ માત્રમાં અહંકાર ક્રોધ લોભ એવા દુર્ગુણો થોડા વધતા અંશે સમાયેલા છે. કોઈ
રાવનો જેવા દુષ્કૃત્યો કરી આગળ આવે છે તો કોઈક છાની છરી જેવા હોય છે.
જેઓ સમાજને બદનામ કરતા હોય છે. ઘણા પોતાના આગમનને મહાન બનાવવા
હર હમેશ પ્રયાસી રહે છે. ખલી પુતળા બાળી આનંદ લેવાનો કોઈ જ અર્થ નથી.
સરસ લેખ માનવ જાતને વિચારવંત કરે એવી ધારદાર રજૂઆત.